Saturday, June 6, 2015

કલ્યાણકારી પ્રતિક સ્વસ્તિક !!

સ્વસ્તિક ઃ સમાજનું કલ્યાણ, સુખ અને સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સમાજ આનંદપૂર્ણ જીવન જીવી શકે તે માટે સેંકડો ઋષિ મુનિઓએ માંગલ્ય પથ બતાવ્યો છે. નિરપેક્ષ ભાવે તેમણે પોતાનું સમગ્ર જીવન તે માટે ખર્ચ્યું છે અને આવા કલ્યાણકારી જીવનનો ભાવ વ્યક્ત કરવા તેમણે સ્વસ્તિકનું પ્રતિક આપ્યું. સ્વસ્તિક એટલે કલ્યાણની સત્તા. કલ્યાણનું રાજ્ય. જીવનમાં જ્યાં સૌંદર્ય છે, શ્રી છે, સુસંવાદ છે, પ્રેમ અને ઉલ્લાસ છે ત્યાં હંમેશાં જીવન મંગળકારી જ છે. ભારતીય સંસ્કૃતિનું ખૂબ અર્થવાહી પ્રતિક તે સ્વસ્તિક છે.

Friday, June 5, 2015

મહારાજ ! હું આપનો માસિયાઇ ભાઇ !!

રાજાના દરબારમાં એક વૃદ્ધ પહોંચ્યો અને બોલ્યો ઃ મહારાજ ! હું આપનો માસિયાઇ ભાઇ છું. મને મદદ કરો. મારે બત્રીસ નોકરો હતા, એક પછી એક ચાલ્યા ગયા. બે મિત્ર હતા, તેઓ પણ સાથ આપતા અચકાવા લાગ્યા. બે ભાઇ છે જે મુશ્કેલીથી થોંડુ કામ કરે છે. પત્ની પણ ઊંધા-ચત્તા જવાબ આપે છે. મારી મુસીબત જોંતા આપ કંઇ મદદ કરો તો સારું.

રાજાએ તેને આદર સહિત રૂપિયાની થેલી આપી.

સભાજનોને આશ્વર્ય થયું. આ દરીદ્ર આપનો માસિયાઇ ભાઇ કેવી રીતે?

રાજા કહે ઃ તેણે મારા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. તેના મોંમા બત્રીસ દાંત હતા જે પડી ગયા. બે પગરૂપી મિત્ર હતા તે ડગમગી ગયા. બે ભાઇ હાથ છે જે અશક્ત હોવાથી થોડું જ કામ કરી શકે છે, બુદ્ધિ તેની પત્નિ હતી જે સાઠે બુદ્ધિ નાઠી જેવું થયું છે.

મારી મા અમીરી અને તેની મા ગરીબી આ બંને બહેનો એટલે અમે માસિયાઇ ભાઇ છીએ. મારે આવા ગરીબ - અશક્તનાં કામો કરવાં જ જોઇએ.

જ્ઞાનની દેવી સરસ્વતી !!

જ્ઞાનની દેવી સરસ્વતી છે. દરેક શાળામાં અને શુભકાર્યમાં આપણે દેવી સરસ્વતીની પ્રાર્થના કરીએ છીએ. હે સરસ્વતી દેવી ! વરદાયિની અને ઇચ્છિત ફળ આપનારી, મારો વિદ્યાભાસ શરુ કરતાં પહેલાં હું તેને દંડવત પ્રણામ કરું છું. તું સદાય મારી મનોકામના સિદ્ધ કરજે એવી વિદ્યાર્થી પ્રાર્થના કરે છે. આવી તો કેટલીય સુંદર પ્રાર્થનાઓ સરસ્વતી માતાની છે. સરસ્વતી કુન્દ, ઇન્દુ, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે. સરસ્વતીનો ઉપાસક પણ એવો જ ધવલ હોવો જોઇએ. શાંતિ, સુવાસ અને શીતળતા એ સરસ્વતીના ગુણ છે.
સાદાઇમાં સૌંદર્ય અને શુભ્રતાની ઉપાસનાનું તેમાંથી શીખવા મળે છે. અને સરસ્વતી વીણાવાદિની છે. વીણાના સૂરોમાંથી સુસંવાદી સંગીત પ્રગટે છે. જીવનની, જીવન જીવવાની કલાનું શિક્ષણ શીખવાનું છે. સરસ્વતીનું વાહન મયૂર છે. મોર કલા અને સૌંદર્ય, વિદ્યા અને તેજસ્વીતાનું પ્રતીક છે. મા શારદા નિત્ય યૌવના છે.

Thursday, June 4, 2015

મુલ્લા કહે ઃ આ નીસરણી વેચું છું!

મુલ્લા નસરુદ્દીનને એક દિવસ પડોશીના બગીચાનાં વૃક્ષો પરના પાકાં ફળ જોઇને તે ખાવાનો વિચાર આવ્યો. નીસરણી માંડી ભીંત પર ચડ્યા અને પછી નીસરણી ભીંતને અઢેલીને પડોશીના બગીચામાં ઉતર્યા.

પડોશી જોઇ ગયો અને ગુસ્સે થયો.

મુલ્લાને કહે ઃ અહીં શું કરો છો ?

મુલ્લા કહે ઃ આ નીસરણી વેચું છું!

પડોશી કહે ઃ મને મૂરખ માને છે ? આ શું નીસરણી વેચવાની જગ્યા છે?

મુલ્લા કહે ઃ મહાશય, જરા શિષ્ટતાપૂર્વક બોલો. નીસરણી ન ખરીદવી હોય તો ન ખરીદતા. પણ નીસરણી મારી છે, અને ક્યાં વેચવી તે મારે નક્કી કરવાનું  છે, મને મન થાય ત્યાં એને વેચવાનો મને અધિકાર છે.

અને મુલ્લા નીસરણી પર ચડીને પાછા પોતાના ઘેર પહોંચી ગયા !

Wednesday, June 3, 2015

આ નવી પેઢીનું શું થશે !!

* મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું  થશે ?

લો હું સમ્મજાવું. એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરાણશે, મા-બાપ બનશે, પૈસા ભેગા કરશે, દિકરા-દિકરી પરણાવશે, નિવૃત થસે અને પછી આ  નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે!

* કેમ બધા ભેગા થઇને વાતો કર્યા કરો છો ? તે હું શું તમને વાતો કરવા પગાર આપું છું ?

ના શેઠજી, વાતો કરવાનો પગાર અમે નથી માંગતા. એ તો અમે મફત જ કરીએ છીએ.

દર્દ અને આનંદ !!

એક મુસાફરે ખૂબ લાંબા પ્રવાસે જવા નીકળ્યો. પોતાની મંજિલનું નામ એણે કિસ્મત આપ્યું અને સાથે લીધેલા ઘોડાનું નામ એણે જરૂરિયાત રાખ્યું. જરૂરિયાતના ઘોડા પર થોડેક સુધી સફર કર્યા પછી એને થયું કે ઘોડાની પીઠ પર બેસીને પ્રવાસ કરવાને બદલે ઘોડાની પાછળ નાનકડી એક ગાડી જોડી દીધી હોય તો જરા સગવડ રહે. મુસાફરે ઇચ્છા નામની ગાડી જોડી દીધી. આ ગાડીને બે પૈડાં હતાં. એકનું નામ આનંદ અને બીજાનું નામ દર્દ. આનંદનું પૈડું જેટલી વાર ફરતું એટલી જ વાર દર્દનું પૈડું ફરતું. પ્રવાસ લાંબો હતો.

મુસાફરને થયું કે ગાડીને નાનું મજાનું છાપરું હોય તો કેવું સારું ! જરૂરિયાતના ઘોડાએ હવે વૈભવના છાપરાને ખેંચવાનો બોજ પણ લેવો પડ્યો. તેથી ઘોડાની ગતિ ઘટી. આગળ જતાં રસ્તો કાદવ કીચડવાળો આવ્યો. ગાડી એમાં ફસાઇ ગઇ. એને થયું હું જો કેવળ ઘોડા પર બેઠો હોત તો ઘોડો કેવો તો દોડીને આગળ લઇ જાત. સવારે ઉઠીને છપરું ફાડી નાખ્યું. ગાડીને છૂટી કરી અને ઘોડા પર બેસીને મંજિલ કાપવા લાગ્યો. એને ખબર હતી કે ગાડીમાંનું આનંદનું પૈડું હવે તેની સાથે નથી. એને એનો વાંધો નહોતો કારણ કે દર્દનું પૈડું પણ હવે છૂટું થઇ ગયું હતું !!

અવિનાશી તત્ત્વ !!

જે જ્ઞાનનું ઉત્તમ સાધન છે એટલું જ નહીં પણ જે સ્વયં વિજ્ઞાનરૂપ છે. જે એકાગ્ર થાય ત્યારે શક્તિશાળી ચિત્ત બને છે, જે ધૈર્યરૂપ છે, જેની અંદર પ્રકાશ પથરાય છે.

જે પ્રાણીઓમાં અમૃત અર્થાત અવિનાશી તત્ત્વ છે. અને જેના વિના કાંઇ જ કર્મ કરાતું નથી, કરી શકાતું નથી, તે મારું મન શિવસંકલ્પ થાઓ.