સ્વસ્તિક ઃ સમાજનું કલ્યાણ, સુખ અને સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સમાજ આનંદપૂર્ણ જીવન જીવી શકે તે માટે સેંકડો ઋષિ મુનિઓએ માંગલ્ય પથ બતાવ્યો છે. નિરપેક્ષ ભાવે તેમણે પોતાનું સમગ્ર જીવન તે માટે ખર્ચ્યું છે અને આવા કલ્યાણકારી જીવનનો ભાવ વ્યક્ત કરવા તેમણે સ્વસ્તિકનું પ્રતિક આપ્યું. સ્વસ્તિક એટલે કલ્યાણની સત્તા. કલ્યાણનું રાજ્ય. જીવનમાં જ્યાં સૌંદર્ય છે, શ્રી છે, સુસંવાદ છે, પ્રેમ અને ઉલ્લાસ છે ત્યાં હંમેશાં જીવન મંગળકારી જ છે. ભારતીય સંસ્કૃતિનું ખૂબ અર્થવાહી પ્રતિક તે સ્વસ્તિક છે.
વેદવાણી, લોકવાણી, અમરતવાણી, સ્વાસ્થ્યવાણી, શાણપણવાણી, શિક્ષણવાણી, અવળવાણી ,જીવનવાણી દેવવાણી, સંત કબીરના દોહા, બાળવાર્તા અને ઘણુ બધું
Saturday, June 6, 2015
Friday, June 5, 2015
જ્ઞાનની દેવી સરસ્વતી !!
સાદાઇમાં સૌંદર્ય અને શુભ્રતાની ઉપાસનાનું તેમાંથી શીખવા મળે છે. અને સરસ્વતી વીણાવાદિની છે. વીણાના સૂરોમાંથી સુસંવાદી સંગીત પ્રગટે છે. જીવનની, જીવન જીવવાની કલાનું શિક્ષણ શીખવાનું છે. સરસ્વતીનું વાહન મયૂર છે. મોર કલા અને સૌંદર્ય, વિદ્યા અને તેજસ્વીતાનું પ્રતીક છે. મા શારદા નિત્ય યૌવના છે.
Tuesday, June 2, 2015
ૐ એટલે !!
ૐ
ભારતીય સંસ્કૃતિ એટલે જાણે ૐની સંસ્કૃતિ ! બધા મંત્રોમાં તે આવે અને તેનું પોતાનું આગવું અસ્તિત્વ. ૐકાર એટલે બધા વેદો-ઉપનિષદોનો સાર. ૐ જ પરબ્રહ્મ. તેને પ્રણવમંત્ર પણ કહે છે. ૐ એ સાડાત્રણ અક્ષરનો બનેલો છે. અ પછી ઉ અને મ ઉપરાંત અરધી માત્રા. આ પ્રત્યેક માત્રાના પણ અર્થ છે. આખીય સૃષ્ટિનું સ્વરૂપ તે ૐ છે.
અ એટલે પૃથ્વી, ઉ એટલે અંતરીક્ષ, મ એટલે દેવલોક અને ઉત્પતિ, સ્થિતિ તેમજ લયનો સમાવેશ પણ તેમાં થઇ જાય છે. જીવની ત્રણ સ્થિતિ, મનુષ્યની ત્રણ પ્રકૃતિ પણ ૐ કારમાં આવી જાય છે.. આપણાં બધાં શાસ્ત્રો ૐ થી જ ઉચ્ચારાય છે. ૐ નાભિમાંથી નીકળવો જોઇએ. ૐ કારનો જ જપ અને તેની સાધના જીવન યાત્રામાં ઊંચે જવામાં ઉપયોગી છે. એટલે જ કેહવાયું કે સમગ્ર વિશ્વ ૐમાં સમાઇ જાય છે. યોગીઓ નિત્ય તેનું જ ધ્યાન કરે છે. ૐ એટલે જ સમગ્ર અસ્તિત્વ, વર્તમાન, હાજર.
Wednesday, May 27, 2015
બ્રહ્મવિદ્યા !!
બ્રહ્મવિદ્યા એટલે બ્રહ્મને જાણવાની વિદ્યા, અધ્યાત્મશાસ્ત્ર.
વિદ્ = જાણવું પરથી વિદ્યા શબ્દ બન્યો છે. જાણવાનું તો ઘણું હોય, પરંતુ તે સર્વ જાણવું બ્રહ્મવિદ્યા નથી કહેવાતું. બ્રહ્મવિદ્યા એટલે આત્મજ્ઞાન.
બ્રહ્મ શબ્દ બૃહત પરથી બન્યો છે. જે ભૂમા છે, વ્યાપક છે, વિરાટ છે તેમાં સુખ સમાયેલું છે. મનુષ્યની ચેતના જેટલી વ્યાપક બને, વ્યાપક્તમ બને તેટલું સુખ વધે. વ્યાપક્તા છે પ્રેમનો વિસ્તાર. ઊંડાણ છે, જ્ઞાનની અગાધતા. પ્રેમ અને જ્ઞાનની બે પાંખો પર મનુષ્ય પ્રાણી જેટલું ઊંચું ઊડી શકે તેટલો માનવતાનો વિકાસ થાય. બ્રહ્મવિદ્યા તે વિદ્યા છે જે મુક્તિ અપાવે. ૃ
Tuesday, May 26, 2015
શંખ !
Dakshinavarti Shankh
મંદિરોમાં અને ઘરોમાં પણ પૂજા સમયે શંખ વગાડવામાં આવે છે. કેટલીક વખત આરતીના સમયે કે કોઇ શુભ પ્રસંગે પણ શંખ વગાડવામાં આવે છે. યુદ્ધના આરંભે કે લશ્કર વિજયી બને ત્યારે પણ શંખનાદ કરાય છે. તેને પૂજા સ્થાનમાં મૂકાય છે અને તેને પૂજા થાય છે. શંખ ધ્વનિ અને અન્ય વાજિંત્રોના મંગલનાદની પાછળ વાતાવરણને પવિત્ર બનાવવાનો આશય છે અને આવા વાતાવરણમાં સાધકો - ભક્તજનોનાં ચિત્ત પણ પાવન બને. તેમાંથી નકારાત્મકતા ચાલી જાય. પ્રાચીન ભારતમાં મોટાં નગરો બહુ ઓછાં હતાં. ગામડાં જ ગામડાં અને દરેક ગામડામાં નાનાં-મોટા મંદિરો, દરેક મહત્વની પૂજા સમયે, શૂભ પ્રસંગોએ, આરતી, શંખનાદ કરવામાં આવતો જેથી સમગ્ર ગામને ખબર પડે. જે જઇ શકે તે જાય અને ન જઇ શકે તે આ શંખનાદ સાંભળી જ્યાં હોય ત્યાં ઘડીભર પ્રાર્થનામય બને. આ બધાં પ્રતીકો આખરે જીવનના ઉર્ધ્વીકરણ માટે જ છે.