Saturday, June 6, 2015

સંત કહે તારી ધનદોલતનું મૂલ્ય કેટલું !!

ઇરાનના શાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્ય અને અઢળક સંપત્તિનો ગર્વ હતો. આ ગર્વએ તેને તોછડો બનાવી દીધો હતો. આવા ઘમંડી બાદશાહને મળવા અબુ શકીક નામના સંત આવ્યા. તેમણે બાદશાહને પૂછ્યું ઃ તમારી ધનદોલતનું મૂલ્ય કેટલું છે ?

બાદશાહ કહે ઃ મારી પાસે બેશુમાર દોલત છે. તેનો અંદાજ મને પણ નથી.

પેલો સૂફી સંત કહે ઃ બાદશાહ ! ધારો કે તમે સહારાના રણમાં ભૂલા પડ્યા છો તમને ખૂબ તરસ લાગી છે. ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઇ પાણીનો પ્યાલો ધરે તો તમે શું આપશો ?

બાદશાહ કહે ઃ અરે ! હું અર્ધું રાજ્ય આપી દઉં ! સંતે બીજો પ્રશ્ન કર્યો ધારો કે તમે બીમાર છો. બચવાની કોઇ આશા નથી. દુનિયાના બધા કાબેલ હકીમો નિષ્ફળ ગયા છે. અને એજ સમયે તમને કોઇ દવાની પડીકી આપે અને સાજા થઇ જાવ. તો તમે એને શું આપશો ? બાદશાહ કહે ઃ આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.

સૂફી સંત બાદશાહને કહે  ઃ બાદશાહ, તારા સામ્રાજ્યની તમામ દોલતને કિંમત પાણીનો એક પ્યાલો અને દવાની એક પડીકી જેટલી જ છે. તો પછી તેનું આટલું બધું અભિમાન શાને ??

No comments:

Post a Comment